ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ સારી સવલતો મળતા કેન્દ્ર સરકારની સ્કોલરશિપ અંતર્ગત સરકારી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન (આઇસીસીઆર) અંતર્ગત 2021-22માં ગુજરાતમાં 324 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. 2019-20માં વિદેશથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 120 હતી. પ્રવેશ મેળવનારામાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ જીટીયુમાં, ત્યારબાદ ગુજરાત યુનિ.માં પ્રવેશ મેળવ્યો છે.
આઇસીસીઆર અંતર્ગત કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત દર વર્ષે વિવિધ 60 જેટલા દેશોના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ માટે આવે છે. આ તમામ વિદ્યાર્થીઓની ફી કેન્દ્ર સરકાર સ્કોલરશિપ રૂપે આપે છે. ગુજરાતના શિક્ષણ અને સંસ્થાઓની સુવિધાને કારણે હવે વિદેશથી આવનારા વિદ્યાર્થીઓની પહેલી પસંદ ગુજરાત બની રહ્યું છે. આ વર્ષે આફ્રિકન દેશો ઉપરાંત અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવશે. સૌથી વધુ વિદ્યાર્થીઓએ જીટીયુની વિવિધ કોલેજોની પસંદગી કરી છે, આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં હજુ પણ વધારો થઇ શકે છે.
“સૌથી વધુ 107 વિદ્યાર્થીએ જીટીયુ પસંદ કરી”
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત | 0 |
ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. | 107 |
ગુજરાત યુનિવર્સિટી | 82 |
હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિ. | 6 |
આઇઆઇટી – ગાંધીનગર | 1 |
MS યુનિ. ઓફ વડોદારા | 80 |
NFS યુનિવર્સિટી | 29 |
એનઆઇટી, સુરત | 0 |
સરદાર પટેલ યુનિ | 8 |
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ. | 1 |
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ. | 10 |
“વિદેશી વિદ્યાર્થીઓ માટે ગુજરાત પહેલી પસંદગી બની ગયું”
ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ શ્રેષ્ઠ સુવિધા મળે છે. પહેલાથી જે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યાં છે તેઓ પોતાના દેશમાંથી આવનારા વિદ્યાર્થીઓને ગુજરાત પસંદ કરવાનું કહે છે. ગુજરાતમાં કોઇપણ વિદ્યાર્થીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લવાય છે. – ડો. જિગર ઇનામદાર, રિજનલ ડાયરેક્ટર – આઇસીસીઆર
“1240 વિદ્યાર્થીની અરજી”
જીટીયુમાં ચાલુ શૈક્ષણિક વર્ષે વિવિધ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં એડમિશન માટે વિદેશના 1240 વિદ્યાર્થીઓએ અરજી કરી છે, ગત વર્ષે આ સંખ્યા માત્ર 200 હતી.