તાઉતે વાવાઝોડાએ 70% આંબાને જમીનદોસ્ત કર્યા, 20% ઉત્પાદનનો અંદાજ, 1 મહિનો કેરી મોડી આવશે, 1 બોક્સનો ભાવ 700થી 1500 રહેશે

  • ગત વર્ષે ખેડૂતો કેરીની સિઝન પૂરી રીતે લઈ શક્યા નહોતા
  • તાપમાનમાં વધ-ઘટ કેરી બંધાવાની પ્રક્રિયામાં બાધારૂપ

ફળોની રાણી કેસર કેરી આ વર્ષે મોંઘી બનવાની શક્યતાઓ સેવાય રહી છે. ગત વર્ષે તાઉતે વાવાઝોડાએ કેરીના પાકમાં વિનાશ વેર્યો હતો. જેમાં 70 ટકા આંબા જમીનદોસ્ત થયા હતા. આથી આ વર્ષે 20 ટકા ઉત્પાદનનો અંદાજ છે, તેમજ એક મહિનો કેરી મોડી આવશે. આ વર્ષે 10 કિલોના એક બોક્સનો ભાવ 700થી 1500 સુધી રહેશે. આ શબ્દો તાલાલા કિસાન સંઘના પ્રમુખ પ્રવીણભાઈના છે. કેરી રસિયાઓ માટે આ વર્ષે રસ મોંઘો અને ફિક્કો પડી શકે છે. કારણ કે, ગત વર્ષે તાઉતે વાવાઝોડાને કારણે આંબાઓનો સોથ વળી ગયો હતો. જેની સીધી અસર આ વર્ષે જોવા મળશે.

સરકારે યોગ્ય સર્વે કરાવી ખેડૂતોને વળતર આપવા માંગ ઉઠી:-

પ્રવીણભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડાને કારણે કેરીના બગીચાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની છે. આશરે 60થી 70 ટકા જેટલા આંબા નષ્ટ થયા હતા. હાલ મોર ફૂટવાનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી કેરીનો પાક 70 ટકા ફેલ થવાનો અંદાજ છે. ગત વર્ષે પણ ખેડૂતો પોતાની કેરીની સિઝન પૂરી રીતે લઇ શક્યા નહોતા. આ વર્ષે પણ રોગનું પ્રમાણ ખૂબ જ વધારે છે. મધ્ય નામનો રોગ કેરીના પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે. ખેડૂતો અત્યારસુધીમાં દવાના 10થી 12 ડોઝ મારી ચૂક્યા છે છતાં પણ આ રોગ કંટ્રોલમાં આવતો નથી. આ અંગે સરકારે યોગ્ય સર્વે કરાવી ખેડૂતોને વળતર આપવું જોઇએ. આ વર્ષે ખેડૂતોને 20 ટકા પણ ઉત્પાદન શક્ય નથી. આ વર્ષે એક મહિનો કેરીનો પાક મોડો આવશે. 10 કિલો કેરીના એક બોક્સનો ભાવ 1200થી 1500 સુધી રહે તેવો અમારો અંદાજ છે.

ખેડૂત હિત રક્ષક સમિતિ, જૂનાગઢના સંયોજક અતુલ શેખડા (ડાબી બાજુ) અને ભારતીય કિસાન સંઘ, તાલાલાના પ્રમુખ પ્રવીણભાઈ (જમણી બાજુ)

કેરી આ વર્ષે મે મહિનાના અંતમાં આવશે:-

ખેડૂત હિત રક્ષક સમિતિ જૂનાગઢના સંયોજક અતુલ શેખડાએ જણાવ્યું હતું કે, આ વર્ષે કેરીના પાકની વાત કરીએ તો શરૂઆતમાં મોર ફૂટવાની પ્રક્રિયા ખૂબ સારી હતી. પરંતુ વાતાવરણમાં ફેરફાર અને તાપમાનમાં વધ-ઘટને કારણે કેરી બંધાવાની પ્રક્રિયા છે તેમાં નુકસાની થઈ રહી છે. આ બધી વસ્તુ ગ્લોબિંગ વોર્મિંગને કારણે થઈ રહી છે. કેરીનો પાક સામાન્ય રીતે મે મહિનાની શરૂઆતમાં આવી જતો હોય છે. પરંતુ આ વર્ષે સારી કેરી મે મહિનાના અંતમાં આવશે, જૂન મહિનામાં વરસાદ શરૂ થઈ જતો હોવાથી સારી કેરીનો પીરિયડ ઓછો રહેશે. વિવિધ ફેક્ટરો જોતા 10 કિલો બોક્સના ભાવ 700થી 1000 રહે તેવી શક્યતા છે. આમ છતાં પણ કુદરતી વાતાવરણ પર આધાર રહેતો હોય છે. આથી સમય આવ્યે ખબર પડે કે કેરીનો પાક કેટલો સારો રહે છે.

ગુજરાતમાં 33 જિલ્લામાં કેરીનું વાવેતર:-

આમ તો ગુજરાતના 33 જિલ્લામાં કેરીનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ સૌથી વધુ વાવતેર સૌરાષ્ટ્ર-કચ્છમાં થાય છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની સરખામણીએ બમણું વાવતેર સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં થાય છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓછું વાવતેર અને ઓછું ઉત્પાદન થવાથી કેરી મોંઘી અને મોડી આવશે. ગત વર્ષે વાવઝોડાને લીધે અનેક આંબાઓનો સોથ બોલી ગયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, સોમનાથ અને દ્વારકા જિલ્લાની કેરી પ્રખ્યાત છે.