CRના જન્મદિને ‘તુલા’ કરવા BJP નેતાએ 26 હજાર આયુષ્યમાન કાર્ડ દબાવી રાખતાં વિવાદ

  • પાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 17માંથી હારેલા ઉમેદવારનું ‘પરાક્રમ’

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના જન્મદિને વોર્ડ નંબર 17 (પુણા)ના ભાજપના કોર્પોરેશનના હારેલા ઉમેદવારે 26 હજાર જેટલા આયુષ્માન કાર્ડથી સી. આર. પાટીલની ‘તુલા’ કરતા વિવાદ થયો છે. ભાજપમાં જ ગણગણાટ સાંભળવા મળ્યો હતો કે, હારેલો ઉમેદવાર એકસાથે આટલા બધા આયુષ્માન કાર્ડ ક્યાંથી લઈ આવ્યો? આ બાબતે જ્યારે તપાસ કરાઈ તો ખબર પડી કે, તુલા કરાવનાર આ ભાજપી નેતા 3-4 મહિનાથી લોકો પાસે આયુષ્માન કાર્ડ અપાવવા માટે ફોર્મ ભરાવી રહ્યા હતા અને જે કાર્ડ ઇશ્યુ થતા હતા તે લોકોને આપવાને બદલે પોતાના જ કબજામાં રાખતા હતા.

જ્યારે જેને જરૂર પડી હતી ત્યારે આયુષ્યમાન કાર્ડ આપ્યા હતા

તુલા થઈ ગયા બાદ હવે લોકોને કાર્ડ પરત કરીશું: ભરત વાડોદરિયા:-

કાર્ડની સંખ્યા 26 હજાર સુધી પહોંચી ગઈ ત્યારે સી. આર. પાટીલને વ્હાલા થવા માટે તેમને ભાજપ કાર્યાલય ઉપર 26 હજાર કાર્ડ સાથે સી. આર. પાટીલની તુલા કરી હતી. સુરત કોર્પોરેશનની ગત ચૂંટણીમાં પાટીદાર વિસ્તારના ગઢ ગણાતા એવા વરાછા, પુણા, કાપોદ્રા, સરથાણા અને મોટા વરાછામાં ભાજપના ઉમેદવારો હારી ગયા હતા. જેમાંથી એક પુણા વોર્ડ નંબર 17ના ભાજપના ઉમેદવાર ભરત વાડોદરિયાને પણ ‘આપ’ના ઉમેદવારે હરાવી દીધા હતા. લોકો સાથે જનસંપર્ક ખૂબ જ સારો છે, તેવું ભાજપ સંગઠનમાં પ્રસ્થાપિત કરવા માટે હારેલા ભાજપી નેતા કઈ હદ સુધી જઈ શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

26 હજાર જેટલા લોકોને કે જેમને સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ એલોટ કરવામાં આવ્યા હતા તે કાર્ડ ભરત વાડોદરિયાએ મહિનાઓ સુધી પોતાની પાસે જ રાખી મૂક્યા હતા. આ તમામ લોકોને જ્યારે કાર્ડની જરૂર પડી હશે ત્યારે કદાચ તેઓ તેનો ઉપયોગ પણ કરી શક્યા ન હશે. ફક્ત ને ફક્ત ઉચ્ચ નેતાઓ સમક્ષ પોતાની કામગીરી દેખાડવા માટે હજારો લોકોને સરકાર દ્વારા અપાતી સ્વાસ્થ્યની સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા હતા. જેના કારણે લોકોમાં પણ છુપો રોષ જોવા મળી રહ્યો હતો.

સીધી વાત ભરત વાડોદરિયા, વોર્ડ નં :17ના ભાજરના હારેલા ઉમેદવાર:-

  • સવાલ : તમે 26 હજાર આયુષ્માન કાર્ડ સાથે ભાજપ અધ્યક્ષની તુલા કરી હતી?
  • જવાબ : હા, તેમના બર્થ ડેના દિવસે કરી હતી.
  • સવાલ : આટલા બધા કાર્ડ તમે એકસાથે ક્યાંથી લાવ્યા?
  • જવાબ : છેલ્લા 3-4 મહિનાથી લોકોનો સંપર્ક કરીને તેમના કાર્ડ બનાવ્યા છે.
  • સવાલ : સરકાર દ્વારા લોકોને તેમના હેલ્થ માટે અપાતા કાર્ડ તમે તમારી પાસે કેમ રાખી મૂક્યા?
  • જવાબ : જ્યારે જેને જરૂર હતી ત્યારે કાર્ડ આપ્યા હતા.
  • સવાલ : સી. આર. પાટીલ સમક્ષ વ્હાલા થવા તમે આ કામ કર્યું?
  • જવાબ : ના, એવું નથી.
  • સવાલ : તમને કાર્ડ આપ્યા કોણે?
  • જવાબ : લોકોને કાર્ડ અપાવવાની વ્યવસ્થા મેં કરી હતી એટલે કાર્ડ મારી પાસે જ આવતા હતા.
  • સવાલ : આયુષ્માન કાર્ડ તમારી પાસે આવ્યા તો તમે લોકોને તરત કેમ ન આપ્યા?
  • જવાબ : આવતીકાલથી લોકોને કાર્ડ પહોંચાડી દેવામાં આવશે.